શરદ પવારે ગૃહમંત્રીને આપ્યો જવાબ: પવારે કહ્યું- સુપ્રીમ કોર્ટે અમિત શાહને ગુજરાતમાંથી દૂર રહેવા કહ્યું હતું, જાણો સમગ્ર મામલો
- 27 Jul, 2024
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં એનસીપી(એસપી)ના પ્રમુખ શરદ પવારને કરપ્શનના કિંગપિન ગણાવ્યા હતા. તેમના આ નિવેદન પર હવે શરદ પવારે વળતો પ્રહાર કર્યો છે. તેમણે આ અંગે અમિત શાહને સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને ટાંકીને સંભળાવ્યું હતું.
શરદ પવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને યાદ અપાવ્યું કે કેવી રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા ખુદ અમિત શાહને ગુજરાતમાંથી દૂર રહેવા માટે મજબૂર કરાયા હતા. શરદ પવારે કહ્યું કે થોડા દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહે મારા પર પ્રહારો કર્યા હતા અને કેટલીક વાતો કહી હતી. તેમણે મને દેશના સૌથી ભ્રષ્ટ લોકોના કમાન્ડર ગણાવ્યા હતા. વિચિત્ર વાત એ છે કે ગૃહમંત્રી એક એવી વ્યક્તિ છે જેમણે ગુજરાતના કાયદાનો દુરુપયોગ કર્યો અને એટલા માટે સુપ્રીમ કોર્ટે તેમને ગુજરાતમાંથી બહાર કરી દીધા હતા.
શરદ પવારે કહ્યું કે જેમને ગુજરાતમાંથી બહાર કરી દેવાયા હતા તે આજે ગૃહમંત્રી છે એટલા માટે આપણે એ વિચારવું જોઈએ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. જેમના હાથોમાં આ દેશ છે તે લોકો કયા પ્રકારના ખોટા રસ્તે જઇ રહ્યા છે. આપણે તે અંગે વિચારવું પડશે. નહીંતર મને 100% વિશ્વાસ છે કે તે આ દેશને ખોટા રસ્તે લઈ જશે. આપણે તેના પર ધ્યાન આપવું પડશે.
મહારાષ્ટ્રના પુણેમાં ભાજપના સંમેલનમાં 21મી જુલાઈએ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, 'તેઓ (વિપક્ષ) ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છે. ભારતીના રાજકારણમાં ભ્રષ્ટાચારના સૌથી મોટા કિંગપિન શરદ પવાર છે અને મને આમાં કોઈ ભ્રમ નથી. તેઓ આપણા પર શું આરોપ લગાવશે? જો કોઈએ ભ્રષ્ટાચારને સંસ્થાકીય બનાવવાનું કામ કર્યું હોય, તો શરદ પવાર, તે તમે જ છો.'